સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે અગ્રણી ગણાતી સાબરડેરી દ્વારા પશુઓ માટેના મુખ્ય ખોરાક એવા ‘સાબરદાણ’ના ભાવમાં આજથી મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડેરી તંત્ર દ્વારા સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાતાં પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
સાબરડેરી દ્વારા કરાયેલા ભાવવધારાના આંકડા પર નજર કરીએ તો, સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં સીધો રૂ. 220 નો વધારો કરવામાં આવ્યો છે.
આ આજથી જ અમલી બની જતાં પશુપાલકોને હવે દરેક બેગ ખરીદવા પર રૂ. 220 વધુ ચૂકવવા પડશે.
સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓ મુખ્યત્વે પશુપાલન અને ડેરી વ્યવસાય પર નભે છે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો, વેતન અને અન્ય આડકતરા ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ડેરી દ્વારા જ પશુદાણના ભાવમાં એકસાથે આટલો મોટો વધારો ઝીંકાતા પશુપાલકોની આર્થિક સ્થિતિ પર ગંભીર વિપરીત અસર પડશે અને તેમનું બજેટ ખોરવાઈ જશે.
બંને જિલ્લાના પશુપાલકોમાં સાબરડેરીના આ નિર્ણય સામે ભારે રોષ અને અસંતોષની લાગણી જન્મી છે. ચોમાસાની ઋતુ અને સતત વધતી મોંઘવારી વચ્ચે ડેરી તંત્રે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાને બદલે અચાનક ભાવવધારો ઝીંકી દેતા પશુપાલકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પશુપાલકો માંગ કરી રહ્યા છે કે આ ભાવવધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અથવા તેમાં રાહત આપવામાં આવે.